હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઇલમાં યુવકની સ્કોર્પિયો કારની આગળ અને પાછળ કાર લાવીને ટક્કર મારી ઘેરી લીધો હતો. ત્યારબાદ તલવારના ઘા મારીને એક ડાબો હાથ કાપી નાખ્યો હતો અને જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. એટલું જ નહીં ત્યારબાદ તેના ગળા પર પણ ઘા મારવામાં આવ્યો હતો. જેથી તેનું ગળું પણ કપાઈ ગયું હતું
સુરત : ઉધના વિસ્તારમાં ભર બપોરે રોડ પર એક યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 37 વર્ષીય યુવક બહેનને મળવા જઈ રહ્યો હતો તે દરમિયાન જ હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઇલમાં યુવકની સ્કોર્પિયો કારની આગળ અને પાછળ કાર લાવીને ટક્કર મારી ઘેરી લીધો હતો. ત્યારબાદ તલવારના ઘા મારીને એક ડાબો હાથ કાપી નાખ્યો હતો અને જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. એટલું જ નહીં ત્યારબાદ તેના ગળા પર પણ ઘા મારવામાં આવ્યો હતો. જેથી તેનું ગળું પણ કપાઈ ગયું હતું. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી વિગત અનુસાર મૃતક યુવકનું નામ ભજન સરદાર હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવાય છે કે, ભજનસિંગ ચીકલીગર ઉર્ફે ભજન સરદારનો બે મહિના પહેલાં બુટલેગર ભાઉ સરદારના જમાઈ સિંગોડી સરદાર અને તેના માણસો સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી આજે બદલો લેવાના ઈરાદે ભજન સરદાર પર ભાઉ સરદારના માણસોએ તલવારથી હુમલો કર્યો હતો. ભજન સરદાર આજે બપોરે પોતાની બહેનના ઘર પાસેથી નીકળ્યો હતો. ત્યારે લક્ષ્મીનારાયણ મંદિર પાસે ભાઉ સરદાર અને તેના માણસોએ ભજન સરદારની સ્કોર્પિયોને બ્લોક કરી દીધી હતી અને તલવાર લઈ તેની પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોથી બચવા ભજન સરદાર ભાગ્યો હતો, ત્યારે ખુલ્લી તલવાર લઈ હુમલાખોરો તેની પાછળ દોડ્યા હતા અને દિનદહાડે જાહેર માર્ગ પર હાથ અને ગળું કાપી ભજન સરદારની ઘાતકી હત્યા કરી હતી. સાતથી આઠ હુમલાખોરોએ ભજન સરદારને રસ્તા પર પાડી દઈ રહેંસી નાંખ્યો હતો, જેના લીધે રસ્તા પર માંસના લોચા અને લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ભજન સરદારની હત્યા કર્યા બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. મર્ડરને નજરોનજર જોનારા લોકોની કંપારી છૂટી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હુમલાખોરો દ્વારા જ્યારે ભજનસિંગ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ભજનસિંગે પણ સામે પ્રતિકાર કર્યો હતો. જેમાં એક હુમલાખોરને ગંભીર ઇજા પણ થઈ હતી. ઈજાગ્રસ્ત હુમલાખોર ભાગીને બોલેરો પીકઅપ વાનમાં પહેલા બેસી ગયો હતો. ત્યારબાદ અન્ય હુમલાખોરો આવ્યા હતા અને પીકઅન વાનમાં બેસીને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, 37 વર્ષીય ભજનસિંગ ભેસ્તાનના વડોદ ગામ ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પત્ની બે દીકરી અને એક દીકરો છે. ભજનસિંગ મીટનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામેના ભાગે એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં પાંડેસરાના ભજનસિંગ તેમની બહેનને મળવા અહીં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અગાઉ એક મહિના પહેલા બે ઓળખીતા વ્યક્તિઓ સાથે પુણે મહારાષ્ટ્રમાં ઝઘડો થયો હતો. તે સમયે ભોગ બનનાર વ્યક્તિએ આરોપીઓને તિક્ષ્ણ હથિયારથી ઇજા પહોંચાડી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ અદાવતનો ખાર રાખી બદલો લેવા માટે આજે ભોગ બનનાર ભજનસિંગને ઘેરીને તલવારના ઘા મારીને મૃત્યુ નીપજાવ્યું છે. ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયત્ન કરી રહી છે.