સુરત : ઉનાળામાં પાણીની માંગ 1500 MLDથી વધીને 1520 MLD થઈ છે, જેથી કોઝ-વેનું જળ સ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા બગડી રહી છે. માર્ચના છેલ્લા અઠવાડિયાથી આ સ્થિતિ છે. સાથે લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક (દર સેકંડે 24 હજાર લિટર) પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની નવી આવક થતાં કોઝ-વેનું જળ સ્તર 5 મીટરથી વધીને ગુરુવારે સાંજે 5.40 મીટર ઉપર પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદઅંશે સુધરી જશે.
તાપી નદીનાં પાણીમાં દૂર્ગંધ, લીલ સહિતના ઉપદ્રવને દૂર કરવા માટે અને રો-વોટર ક્વોલિટી જાળવી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જો લેવલ 6 મીટર ઉપર થાય તો કોઝ-વે પરથી પાણી વહેવા માંડે, જેથી કોઝવેનું લેવલ 5.40 આસપાસ મેન્ટેઇન કરવામાં આવી રહ્યું છે. કોઝ-વેના જળ સ્તર વધતાં મેન્યુઅલ ગેટમાંથી સેંકડો લિટર પાણી વહી સાથે દૂર્ગંધ, લીલ, ગંદકી પણ વહી જઈ રહી છે, તેવું પાલિકાના હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું હતું.
પાણીની માંગ વઘટા દર ઉનાળામાં કોઝ-વેના લેવલમાં ધટાડો થતો હોય છે. સાથે લીલ, જળકુંભી, લીલા પાણીની સમસ્યા રહે જ છે. રાંદેર, પાલનપુર, વેડ રોડ, કતારગામ સહિતના વિસ્તારોમાં પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ શરૂ થઈ હતી, જેથી હાઇડ્રોલિક ખાતાએ પાણી પહેલાં પાળ બાંધીને તત્કાળ સિંચાઇ ખાતા સાથે સંકલન સાધીને 29 માર્ચથી જરૂરિયાત પૂરતું પાણી ડેમમાંથી છોડવાની શરૂઆત કરી હતી, જેથી આ સંકટમાંથી હાલ તો ઉગારો થયો હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે.