દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય ચક્રવાતનો ખતરો : ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાવાની શરુ

હવામાન વિભાગ મુજબ ચક્રવાત આગામી 48 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે, વાવાઝોડું બિપોરજોય હાલ પોરબંદરથી 930 કિમી દૂર, ગુજરાતમાં તંત્ર સતર્ક

દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય ચક્રવાતનો ખતરો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચક્રવાત આગામી 48 કલાક એટલે કે શનિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન તે ઉત્તર ભારત તરફ આગળ વધશે.
અમરેલી કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવાઈ છે. રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં અમારી ટીમ એક્ટિવ છે. 12 તારીખ સુધીમાં પવનની સ્પીડ પ્રતિકલાક 55 કિ.મી સુધી થશે. પીપાવાવ કોસ્ટગાર્ડ વહીવટીતંત્ર દરિયાકિનારે સીધી નજર રાખી રહ્યું છે.
આજે મહીસાગરમાં બિપોરજોય વાવાઝોડાની આગાહી વચ્ચે ભારે પવન ફૂંકાવવાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. ખાનપુર લીમડીયા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે હાઈવે બ્લોક થયો છે તેમજ અનેક વિસ્તારમાં રસ્તાઓ બંધ થયા હતાં. જો કે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.
ગુજરાત તરફ વધી રહેલું વાવાઝોડું બિપોરજોય હાલ પોરબંદરથી 930 કિમી દૂર છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં તંત્ર સતર્ક થઈ ગયુ છે અને તમામ અધિકારીઓને સ્થળ પર હાજર રહેવા સુચના આપી દેવામાં આવી છે. જિલ્લાના તમામ બંદર પર ભયજનક 2 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યુ છે. આ સાથે લોકોને દરિયાકાંઠે ન જવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે NDRF તેમજ SDRFની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે.
ગીર સોમનાથમાં વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે તેમજ ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. વેરાવળ, સુત્રાપાડા બંદર પર 2 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે તેમજ દરિયા કાંઠા વિસ્તારના માછીમારોને દરિયા નજીક ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
જામનગર જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં બિપરજોય સાયકલોન સિસ્ટમ ડેવલપ થઈ છે. હવામાન વિભાગની આગાહીઓ અને ચેતવણીને અનુરૂપ જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તે અંગે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં જિલ્લા તથા તાલુકા મથકના તમામ અધિકારીશ્રીઓને પોતાના હેડક્વાર્ટર પર અચૂક હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે તેમજ તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને તમામ માછીમારો તથા બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. જામનગર ગ્રામ્યના અંદાજિત 12 ગામો, જોડિયા તાલુકાના 8 ગામો તેમજ લાલપુર તાલુકાના 2 મળી કુલ 22 ગામો દરિયાકાંઠે આવેલા છે. જેમાં રહેતા આશરે 76 હજાર જેટલા નાગરિકો માટે જો જરૂર જણાય તો સલામત આશ્રયસ્થાન અંગેની પણ જરૂરી વ્યવસ્થાઓ તેમજ આયોજન સુનિશ્ચિત કરી લેવામાં આવ્યા છે.
હવામાનશાસ્ત્રીઓ કહે છે કે ચક્રવાતનો ટેન્ટેટિવ ​​ટ્રેક ઉત્તર દિશામાં હશે, પરંતુ ઘણી વખત તોફાનો અનુમાનિત ટ્રેક અને તીવ્રતાને ખોટી સાબિત કરે છે. હવામાનની આગાહી કરતી એજન્સીઓએ જણાવ્યું હતું કે આ વાવાઝોડું માત્ર 48 કલાકમાં ચક્રવાતથી ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે, જે અગાઉનું આકલન ખોટું સાબિત કરી શકે છે. વાતાવરણની સ્થિતિ સૂચવે છે કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન 12 જૂન સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
લક્ષદ્વીપ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતની અસર થવાની સંભાવના છે. IMD એ આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ માટે પવનની ચેતવણી જારી કરી છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને પશ્ચિમ-મધ્ય અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 80-90 kmph થી 100 kmph સુધી પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત, પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારો અને ઉત્તર કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારો વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે.

‘બિપરજોય’ વાવાઝોડું (સાઈક્લોન) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?

સૂરતઃગુરૂવારઃ ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લેતા સુરક્ષા અને સાવચેતી અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ આફતથી થનારી અસરોને ખાળી શકાય.
વાવાઝોડા પહેલા આટલું અવશ્ય કરશો
¤ અફવાઓ ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ
¤ તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો
¤ આ વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો
¤ તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો
¤ જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે
¤ તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહિ
¤ ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધલા ન રાખશો, ખીલેથી છુટ્ટા મુકો
વાવાઝોડા વખતે અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને લેશો
ઘરની અંદર:
¤ વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો
¤ બારી-બારણાઓ બંધ રાખો
¤ જો તમારું ઘર/મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ
¤ વાવાઝોડાની અંતિમ (Latest) માહિતી માટે સતત રેડીઓ કે અન્ય વિશ્વસનીય માહિતી સ્ત્રોતથી માહિતી મેળવતા રહો
¤ ગરમ-ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો
¤ વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો
ઘરની બહાર :
¤ તૂટેલા અથવા જર્જરિત મકાનોની આસપાસમાં પ્રવેશશો નહિ કે તેની નજીકમાં ઉભા રહેશો નહિ
¤ તૂટેલા વીજતાર કે વીજથાંભલાઓથી સલામત અંતર રાખશો. કોઈ ધારદાર ચીજવસ્તુઓથી પણ દૂર રહેશો
¤ સલામત આશ્રયસ્થાન શોધીને ત્યાં શરણ લેશો.
વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા:
¤ જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
¤ રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
o વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
o વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
o વીજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
o દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
o વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
o માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
o અગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
o ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.
માછીમાર/સાગરખેડુઓ માટે:
¤ રેડિયો સેટ વધારાની ચાર્જ કરેલી બેટરી સાથે તૈયાર અને હાથવગી રાખો.
¤ તમારી બોટ/વહાણ, રાફ્ટ અને તરાપા કોઈ સલામત સ્થળે યોગ્ય રીતે મજબૂતાઈથી બાંધીને રાખો.
¤ અફવાઓને અવગણો, શાંત રહો, ગભરાશો નહીં.
¤ આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક સાધવા તમારા મોબાઈલ ફોનને સંપૂર્ણ ચાર્જ કરેલા રાખો; SMS નો ઉપયોગ કરો.
¤ એક કાગળ પર મહત્વપૂર્ણ સંપર્ક નંબરો લખી રાખો અને તેને સુરક્ષિત રીતે રાખો.
¤ વધારાની બેટરીઓ સાથે રેડિયો સેટ હાથમાં રાખો.
¤ હવામાનના અપડેટ્સ માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ, અખબારો વાંચો.
¤ દરિયામાં સાહસ ન કરો.
(ખાસ લેખ: પરેશ ટાપણીયા)

error: Content is protected !!