સુરત : થોડા દિવસ પહેલા અખાદ્ય પનીરનો જથ્થો સુરતમાંથી મળી આવ્યો હતો. ગઈકાલે પણ વલસાડથી સુરતમાં પાંડેસરા અને ઉધના વિસ્તારમાં વેચવા માટે અખાદ્ય પનીરનો જથ્થો આરોગ્ય વિભાગના હાથે લાગ્યો હતો. ત્યારબાદ તેના સેમ્પલિંગ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જયારે આજે ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે. રાંદેર પોલીસે ભેળસેળયુક્ત ઘીના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડ્યો હતો. પોલીસે શંકાસ્પદ ઘીના ડબ્બા સહિત કુલ 29,630 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે આ શખસ સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી અને કેમિકલનો ઉપયોગ કરી શુદ્ધ ઘી જેવું જ દેખાય તેવું ઘી તૈયાર કરતો હતો.
સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલા ગોગાચોક સાંઈનાથ સોસાયટીમાં એક શખ્સસ ભેળસેળયુક્ત ઘી બનાવી વેચાણ કરતો હોવાની માહિતીને લઈને પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રાજેશ હરગોવનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે અહીંથી ભેળસેળ ઘી બનાવવાની સાધનસામગ્રી તથા 3400 રૂપિયાની કિંમતના વનસ્પતિ 15 કીલોગ્રામના 2 નંગ ડબ્બા, 8250 રૂપિયાની કિંમતના જેમીની રિફાઇન્ડ સોયાબીન તેલ 15 કિલોગ્રામના સીલબંધ 5 ડબ્બા, 5100 રૂપિયાની કિંમતના રાગ વનસ્પતિ 15 કિલોગ્રામના પતરાના સીલબંધ 3 ડબ્બા તથા ભેળસેળયુક્ત પતરાના 15 કિલોગ્રામના ખુલ્લા ઢાંકણવાળા 5 ડબ્બા જેની કુલ કિંમત 12000 તથા 5.5 કિલોગ્રામ ભેળસેળયુક્ત છૂટક ઘી મળી કુલ 29630 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નકલી ઘી બનાવનાર શખસને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. ડુપ્લિકેટ ઘી કેવી રીતે બનાવતો હતો અને તેમાં કયાં પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરતો હતો તે પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ જાણે નકલી ઘી બનાવવાનું ડેમો આપતો હોય તે રીતે પોલીસની સામે જ તે કેવી રીતે મિલાવટ કરતો હતો તેનો એક ડેમો પણ આપ્યો હતો. સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી તેમજ અન્ય કેમિકલનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવું જ દેખાય અને સ્વાદ પણ એવો જ આવે તે પ્રકારનું ઘી તૈયાર કરતો હતો. પોલીસે પણ ડુપ્લિકેટ ઘીનો કલર જોઈને ચોંકી ઉઠી હતી. ડુપ્લિકેટ ઘી અને શુદ્ધ ઘી વચ્ચે અંતર શોધવું પણ મુશ્કેલ બને એ પ્રકારનું ઘી તૈયાર કરવામાં આવ્યું હતું. માત્રને માત્ર લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા બાદ જ તેની સત્યતા જાણી શકાય એ હદે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું.