સુરત : ઉમેદવાર દ્વારા હવે ચૂંટણી પ્રચાર માટે નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગાંધીજીનો વેશ ધારણ કરતા ચર્ચામાં આવ્યા છે. વર્ષોથી ગાંધી વિચારધારાને અનુસરતા નૈષધ દેસાઈએ ધોતી અને બંડીનો પહેરવેશ પહેરીને પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ભારે કુતુહુલ પણ જોવા મળી રહ્યું છે.
નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પહેરવેશ ધારણ કરવા પાછળનું કારણ સ્વંત્રતા, સમાનતા પ્રસ્થાપિત કરવા, લોકતંત્ર સંવિધાનની સુરક્ષા કરવા, નવી પેઢી નરેન્દ્ર મોદીનો નઈ બોગસ ગુબારાનો નઈ, નવી પેઢીને મહાત્મા ગાંધીનો પ્રચાર-પ્રસાર કરવા. ગાંધીના નમક સત્યાગ્રહને યાદ કરીને આવનારા સત્તાના આતંક સામે યુવા પેઢીને આંદોલન કરવા, સત્યાગ્રહ કરવા, આ વેશ પરિધાન કર્યો છે. 7મી તારીખે મતદાન સુધી આ પહેરવેશ હશે. માનનીય મોદીની સલાહ અનુસાર હું જન્મથી ખાદી પહેરૂં છું.
પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે, મીડિયામાં જાહેરાતો આપવાની અને સ્ટેજ મંડપ પર બધો ખર્ચો સરકારને ખર્ચે ચુંટણી પ્રચાર કરવાનો અને બધા સરકારી તંત્રને ચૂંટણી પ્રચારમાં કામે લગાવવાના આ એમનું કામ છે આ એમની નિતી છે. માટે અમે અત્યારે એમની સામે આપના આર્શીવાદ, સાથ, સહાકારની જરૂર છે. અમે જ્યારે અવસાન પામીશું ત્યારે અમે હે..રામ.. બોલીશું. મહાત્મા ગાંધીના ગુજરાતને ખોટે રસ્તે લઈ જનારા અટલ બિહારી વાજપાયીની સલાહની વિરુદ્ધ જઈને રાજધર્મની બરબાદી કરનારા નરેન્દ્ર મોદીને એમના હનુમાન સી.આર. પાટિલની સામે પરાજય આપવાની પ્રાર્થના આપને કરીએ છીએ.